ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

નિષ્કામ કર્મયોગી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ.

[વડગામ તાલુકાના નાના એવા ગામ નળાસરમાં જ્ન્મેલા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ બનાસકાંઠાના લોકો માટે જે પ્રેરણાત્મક કાર્યો કરી ગયા તેનાથી આપણે સૌ માહિતગાર છીએ.  આવા એક સાચા સંત પુરૂષની યાદમાં ૪ ફેબ્રુઆરી ૧૯૭૯માં સ્વ.ગલબાભાઈ સ્મૃતિગ્રંથ સમિતિ દ્વારા ગલબાભાઈના સમાજસેવાના કાર્યોની કદરરૂપે “ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યુ હતું. જેમાગલબાભાઈના સમકાલિન મહાનુભાવો દ્વારા સ્વ. ગલબાભાઈને શ્રધાંજલી સંદેશ સાથે ગલબાભાઈ સાથે તેઓના અનુભવોનું સંકલન કરવામાં આવ્યુ છે,  જે વડગામવેબસાઈટ ઉપરસમયાનુસાર વિવિધ મહાનુભાવોના ગલબાભાઈ વિશેના લેખો અને શ્રધાંજલી સંદેશ લખવામાં આવશે. પ્રસ્તુત લેખ શ્રી કરશનભાઈ એન. પટેલ દ્વારા લખવામાં આવ્યો હતો.આ તબક્કે સ્વ.શ્રી ગલબાભાઈ સ્મૃતિ-ગ્રંથ સમિતિનો આભારી છું]

 

g-2‘ બનાસડેરી ’ ના આદ્યસ્થાપક, સાદગી અને સેવાના અનન્ય ભેખધારી લોકસેવક અને સૌજન્યમૂર્તિ સમા બનાસકાંઠાના લોકલાડીલા નેતા સ્વ. શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની સાનિધ્યમાં રહી કામ કરવાની થોડીક તક મળી છે; ત્યારે સદ્દગતના જીવન કવન વિશેની મારા હર્દયમાં રહેલી ઊંડી ભાવનાઓ વ્યકત કરતાં અત્યંત ગૌરવ અનુભવું છું.

ખેડૂતોના સાચ રાહબર

સદ્દગત ગલબાભાઈ એક સામાન્ય સ્થિતિના ખેડૂતપુત્ર માંથી જિલ્લા-ભરમાં અને તે પછી સમગ્ર ગુજરાતમાં લોકનેતા તરીકે ખૂબ સારી ખ્યાતિ અને લોકચાહના મેળવી પોતાના જીવનને સાર્થક કરી ગયા અને પોતાના જીવનની સુવાસ અને પમરાટ ચિરકાલીન સમય માટે સર્વત્ર પ્રસરાવી ગયા.

ખેડૂત આલમને નિશદિન મૂંઝવતી સમસ્યાઓના ઉકેલને પોતાનું જીવનધ્યેય સમજી તે માટે અવિરતપણે સખત પરિશ્રમ ઉઠાવ્યો અને તે માટે સમગ્ર જિલ્લાનો વ્યાપક પ્રવાસ ખેડી ગ્રામ્ય જનતાના પ્રશ્નોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. ખેડૂતોના પ્રાણપ્રશ્નોના સમુચિત ઉકેલ માટે આજીવન ઝઝૂમતા રહ્યા. સ્વ. શ્રીએ નિ:સ્પૃહી લોકસેવા દ્વારા અનન્ય લોકચાહના પ્રાપ્ત કરી હતી. પછાત બનાસકાંઠાને અગ્રેસર બનાવવા માટે સ્વ. શ્રી ગલબાભાઈએ જીવનભર જે સેવા બજાવી છે; તે જિલ્લાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે,

ધારાસભામાં પ્રવેશ : વામનમાંથી વિરાટ

સને ૧૯૫૨માં તથા સને ૧૯૫૭માં યોજાયેલી રાષ્ટ્રવ્યાપી સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે નજીવા ખર્ચે વિશાળ બહુમતિથી બૃહદ મુંબઈ રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં પણ તેઓશ્રી  ખેડૂતોના પ્રાણપ્રશ્નો માટે ઝઝૂમતા રહ્યા. સેવા અને સાદગીએ તો તેમના હર્દયમાં અપૂર્વ સ્થાન જમાવી દીધું હતું.

એક વખત રાજ્યની ધારાસભાના મંત્રીમંડળના સભ્યો તથા ધારાસભ્યો માટે યોજાયેલ એક ભોજન સમારંભમાં પ્રધાનો કાંટા તથા ચમચીથી જમતા હતા, જ્યારે સ્વ.શ્રી ગલબાભાઈ હાથથી જમતા હતા, જ્યારે સ્વ.શ્રી ગલબાભાઈ હાથથી જમતા હતા ત્યારે એક પ્રધાન મહાશયે તેઓશ્રીને, ‘ તમને જમતાં નથી આવડતું ? એમ કહી ટોણો માર્યો; ત્યારે તેઓશ્રીએ એ વખતે વળતો કેવો સરસ પ્રત્યુત્તર આપ્યો કે, “તમે જેના લોહી અને પસીના વડે તૈયાર થયેલુ અનાજ ખાઓ છો તે જગત તાત જે રીતે જમે છે તે રીતે હું જમું છું. આવા સમારંભોમાં તમારા બાપની મૂડી નથી વપરાતી; આ મૂડી તો ગરીબ ખેડૂતોના પસીનામાંથી પેદા થયેલી છે. દેશમાંથી અંગ્રેજોને તો કાઢ્યા; પરંતુ તમે નવા અંગ્રેજ બની બેઠા. “ કેટલો ઉમદા ઉત્તર ! આવો ઉત્તર તો સાચા અને નિ:સ્પૃહી લોકસેવકના મુખમાંથી જ નીકળી શકે.

ખેડૂતોના સાચા હમદર્દ તરીકેનું એક અન્ય ઉમદા ઉદાહરણ ખાસ ઉલ્લેખનીય છે કે દેશના તે વખતના બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી પદે સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈ હતા. સ્વ. શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ તત્કાલીન મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ ખાતાના મંત્રીપદે હતા. ત્યારનો એક પ્રસંગ છે. રાજ્યની ધારાસભામાં તે દિવસે વિકાસને લગતી બાબતો અંગે ચર્ચા ચાલતી હતી. ચર્ચામાં ભાગ લેતા સ્વ. શ્રી ગલબાભાઈએ પોતાની તળપદી ભાષામાં બોલતા જણાવ્યું કે સરકાર નજીવી કિંમતના પાવડા, ત્રિકમ અને તગારાં રાખવા માટે હજારો રૂપિયાના ખર્ચે ગોડાઉન બાંધે છે, જ્યારે જેના પસીનામાંથી પેદા થયેલી આ મૂડી આ રીતે વપરાય છે તે જગત તાત સમો ખેડૂત પોતાની રૂપિયા બે હજારની કિંમતની બળદની જોડી શિયાળાની કડકડતી ઠંડી, ઉનાળાનો ગરમ તાપ અને ચોમાસામાં વરસાદના જોરદાર ઝાપટાં વચ્ચે થોરની વાડની ઓથે બાંધીને છાણાં કે ઝાડ-ઝાંખરાનું ઓશીકું કરી ઉપર આભ ને નીચે ધરતી, સાચા રખેવાળ રામના ભરોસે ઝેરી જીવજંતુઓની વચ્ચે સૂઈ રહીને પોતાની મહેનતકશ જિંદગીનો લ્હાવો માણે છે. આ જગત તાત ખેડૂતના બે બળદના રક્ષણ માટે આ સરકાર ચાર પતરાં કે પાંચ થેલી સિમેન્ટ આપી શક્તી નથી. તો પછી આઝાદી કોના માટે  ? સ્વ. શ્રીની આવી વાતો સાંભળી મુ. શ્રી મોરારજીભાઈ પણ રોષે ભરાતા અને સ્વ. શ્રી ગલબાભાઈને કેટલીક વખત રોષયુક્ત સ્વરમાં ઠપકો પણ આપતા. પરંતુ જરા પણ મચક આપે તો ગલબાભાઈ શેના ?

પંચાયતી રાજના યશસ્વી સુકાની

સને ૧૯૬૩માં ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવતાં સદ્દગત ગલબાભાઈ વડગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા અને પાંચ વર્ષ સુધી તાલુકાભરની જનાતાની અનન્ય સેવા બજાવી. સને ૧૯૬૮માં સર્વાનુમતે જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. તેમના વહીવટકાળ દરમિયાન જિલ્લો ભીષણ દુષ્કાળના કારમા પંજામાં સપડાયો ત્યારે આ દુષ્કાળગ્રસ્ત જિલ્લાનાં માનવ તથા પશુધનને ઉગારવા સદ્દગતશ્રીએ રાતદિવસ જોયા વિના અથાક પરિશ્રમ ઊઠાવ્યો.

મૂંગું પશુધન અને તેમાંયે ખાસ કરીને ગાયો, પાણી તથા ઘાસના અભાવે પગ ઘસીને મરવા લાગી ત્યારે અનુકંપાના ભંડાર સમા આ નિષ્કામ કર્મયોગીના હર્દયકુંજમાં દુ:ખનો પારાવાર દાવાનળ ભભૂકી ઊઠ્યો. તેમણે પાલનપુર અને વડગામ તાલુકાનાં ગામડાઓમાં ઠેર ઠેર સભાઓ ભરીને ખેડૂતોને હર્દયસ્પર્શી અપીલ કરી કે, “તમો દરેક ખેડૂત ઓછામાં ઓછી એક ગાયને બચાવો. તમને ખૂબ પૂણ્ય થશે. તમારાં ઢોરોનો ઓગાઠ ખાઈને તે જીવશે. આટલું કામ જરૂરથી કરો. ભગવાન તમારું ભલું કરશે. “સાચા કર્મયોગીના આવા પવિત્ર સાદે ખેડૂતોના હર્દયને હચમચાવી નાખ્યુ અને દરેકે ખેડૂતે એક એક ગાય પાળવાની તૈયારી બતાવી. ઉપરાંત જીવદયા મંડળી – મુંબઈના કાર્યકરો તથા જિલ્લાના સંસદસભ્ય શ્રી સદોબા પાટીલને  ગીતાના સંદેશ સમો ગાયોનો પોકાર પહોંચાડી ગાયોની વહારે ધાવા અપીલ કરી. મૂંગા પશુધનને ઉગારવા પશુનીરણ કેન્દ્રો ખોલાવ્યા. ગરીબ અને નિરાધાર લોકો માટે રાહત-રસોડાં અને સુખડી વિતરણ કેન્દ્રો શરૂ કરાવ્યાં. પીવાના પાણીની અને છાશની પરબો તથા રાહ્તકાર્યો દ્વારા માનવ તથાં પશુધનના નિભાવ માટે અથાક અને અવિરત પરિશ્રમ દ્વારા અનન્ય સેવા બજાવી. અને તે દ્વારા અનનય લોકચાહના પ્રાપ્ત કરી.

હર્દયની વિશાળતા અને સચ્ચાઈ, દ્રષ્ટિની દીર્ઘતા અને લોકો સાથેનું તાદાત્મય માણસને પોતાના વ્યક્તિત્વની ખિલવણી માટે જબરું બળ આપે છે. સ્વ. શ્રી ગલબાભાઈના વ્યક્તિત્વને આ ગુણોથી જ બળ અને પોષણ મળતું હતું. તેમની શક્તિનો સ્ત્રોત તેમના આ ગુણોને જ આભારી હતો.

સહકારી પ્રવૃત્તિના મહાન પુરસ્કર્તા

સહકારી ક્ષેત્રે સદ્દગતની સેવાની સૌથી મહાન અને અજોડ સિધ્ધિ “ બનાસ ડેરી “ છે. સ્વ. શ્રીના સમગ્ર જીવનભરની સેવાના નિચોડરૂપે આ “ડેરી” તેમના જીવંત સ્મારક રૂપ છે. જિલ્લામાં શ્વેત ક્રાન્તિ મારફતે જિલ્લાના ખેડૂતો તથા પશુપાલકોની આર્થિક અને સામાજિક કાયાપલટ કરવામાં  અને તે માટે સદ્દગત જીવાત્માએ સેવેલા સોનેરી સ્વપનો સિધ્ધ કરવામાં આ સહકારી સાહસ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રદાન કરે તે માટેની વિશેષ જવાબદારી તેઓશ્રીના સાથીઓ અને અનુયાયીઓ ઉપર આવી પડેલ છે. તે કામ તેઓ નિષ્ઠાપૂર્વક અને ઉત્સાહપૂર્વક પાર પાડી સ્વર્ગસ્થની કલ્પનાઓને મૂર્તિમંત બનવશે તેવી શ્રધ્ધા છે.

સેવામૂર્તિ સ્વ. શ્રી ગલબાભાઈના જીવનમાંથી પ્રેરણા મેળવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે  શક્ય તે તમામ પ્રયાસો આદરી સદ્દગત પ્રત્યેનું ઋણ અદા કરવા સૌ કોઈ આગળ આવે તે ઉચિત ગણાશે.

બનાસકાંઠાના વિશાળ ખેડૂત સમાજ અને ગામડાંની જનતાને હક્કો અને અધિકારો માટે  જાગ્રત કરનાર  આ મહામાનવનું સાચુ સ્મારકતો તેઓશ્રી જે આદર્શો અને મૂલ્યો માટે જીવનભર ઝઝૂમ્યા તેને મૂર્તિમંત કરવા માટે  તેમના સૌ સાથીઓ અને મિત્રો કટિબધ્ધ બને તે જ છે.

આ વેબસાઈટ ઉપર લખવામાં આવેલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલ વિશેના અન્ય   લેખો વાંચવા  અહીં ક્લીક કરો.