ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર

સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષ ઉજવણી.

GNP JS-5૧૦૦ વર્ષ અગાઉ ધાણધારી ધરા વડગામ તાલુકાના નળાસર ગામે જન્મ ધારણ કરી ગલબાભાઈ માંથી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં બનાસ કાકા – ગલબાકાકાના  હુલામણા નામ સાથે લોક હર્દય માં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નુ જીવન ચરિત્ર સૌ કોઈ માટે આદર્શ  એટલા માટે છે કે અંધશ્રધ્ધા અને શિક્ષણથી વંચિત તે સમયના પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાના લોકસમુદાયને જાગૃત કરી તેઓનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુ નિસ્વાર્થ ભાવે એ સમયમાં કોઈ પણ જાતની સુવિધાઓ વગર અનેક મુશ્કેલીઓ અને અગવડો-અવરોધો  વચ્ચે સતત મથતા રહી બનાસકાંઠા જિલ્લાને બેઠો કરવા માટે એમણે  સાથી મિત્રોને સાથે રાખીને જે ભગીરથ પુરુષાર્થ કર્યો છે તેનુ મૂલ્ય શબ્દોમાં આંકી શકાય તેમ નથી.

તે સમય ની પરિસ્થિતિ સાથે આજની પરિસ્થિતિ ની તુલના કરવામાં આવે તો સમજાય  કે આજે ટેકનોલોજી યુગ માં સરળ લાગતું કામ એ સમય માં માત્ર ત્રણ ચોપડી ભણેલા ગલબાભાઈ એ  કઈ પ્રેરણાથી કેવી કોઠાસૂજ્ સાથે પાર પાડ્યું હશે એ સમજવું મુશ્કેલ નહિ લાગે ! બચપણથી જેમને ભાગે માત્ર સંઘર્ષ જ અને અભાવો વચ્ચે જીવન પસાર કરવાનું આવ્યું હોય, એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ વચ્ચે નાસીપાસ થયા વગર  તે વ્યક્તિ પોતાનું ભલું કરવાની જગ્યાએ અન્યોનું ભલું કરવાનું કેવી રીતે વિચારી શકે ?

સામાન્ય ખેતમજૂરથી માંડીને દેશના વડાપ્રધાન જ્યારે ગલબાભાઈને યાદ કરીને તેમને ઉચિત શ્રધાંજલી અર્પતા હોય તે તેની પાછળનું એકમાત્ર કારણ તેઓશ્રીએ સાચા અર્થમાં કોઈ પણ જાતના નાત-જાતના ભેદભાવ વગર કે પક્ષાપક્ષી વગર કે પ્રાંતવાદ વગર  નિસ્વાર્થભાવે કરેલી લોકસેવા છે. બનાસના ગાંધીના ઉપનામને સાર્થક કરતા સત્ય અને સાદગીના રાહ ઉપર બનાસકાંઠા જિલ્લામાં કરેલ અનેક સેવાકીયકાર્યોની સુવાસ આટલા વર્ષોના વહાણા વહી ગયા બાદ પણ આજે પણ અનુભવી શકાય છે. બનાસડેરીની ઊંચી ઈમારતો વચ્ચે ન દેખાતા મજ્બૂત  પાયા તે સમયની અનેક મુશ્કેલીઓ અને અથાક પ્રયત્નોના અંતે  એક પૂણ્યશાળી આત્મા દ્વાર નાખવામાં આવ્યા હતા તે ઘણા ઓછા લોકો જાણે છે કારણ કે કહેવત છે પાયાની ઇંટો તો દેખાય નહી. આજે ગલબાભાઈ નાનજીભાઈ પટેલે શરૂ કરેલી બનાસડેરી તેમના અનુગામી ચેરમેનશ્રીઓ  સ્વ. શ્રી ગલબાભાઈ માનજીભાઈ પટેલ, સ્વ.શ્રી દલુભાઈ દેસાઈ, શ્રી પરથીભાઈ ભટોળ, શ્રી શંકરભાઈ ચૌધરી અને  અન્ય સહકારી આગેવાનોના સનિષ્ઠ અને સતત નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને અંતે વટવૃક્ષ બનીને ફુલીફાલી રહી છે તે જિલ્લાના ખેડૂતો માટે સુખદ ઘટના છે.

જે સમાજ પોતાના મહાનુભાવોના સતકર્મોને  ભૂલી જાય છે તે સમાજ સાચા માર્ગે વિકસી શક્તો નથી તે ઉક્તિને યાદ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી બનાસડેરી દ્વારા પોતાના આદ્યસ્થાપક અને પ્રથમ પ્રમુખ સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલની ૧૦૦ જન્મજ્યંતીને જન્મશતાબ્દી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરીને એક સંતપૂરૂષને સાચી શ્રધાંજલી અર્પવાની સાથે સાથે પ્રેરણાદાયી કાર્ય કર્યુ છે કારણ કે ગલબાભાઈ એક માત્ર બનાસડેરી સ્થાપી એટલુ જ નહી પણ પોતાના સમકાલીન સામાજિક આગેવાનોને સાથે રાખીને કોઈ પણ વ્યક્તિગત સ્વાર્થ વગર જિલ્લામાં અસંખ્ય સેવાકીય કાર્યોનું કહી શકાય કે અભિયાન ચલાવીને બનાસકાંઠા જિલ્લાને લાગેલ પછાતપણાના કલંકને દૂર કરવાના ભરપૂર પ્રયત્નો આદર્યા હતા.

૨૦૧૭ની ફેબ્રુઆરી મહિનાની ૧૫મી તારીખે વડગામ તાલુકાના પ્રસિધ્ધ યાત્રાધામ મગરવાડા ગામમાં સાંજે ૪.૩૦ કલાકે સહકારી અને રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થાઓના પદાધીકારીઓ, વિવિધ જાતી-મંડળોના આગેવાનો, સ્થાનિક અને આજુબાજુ વિસ્તારના અનેક ખેડૂતો અને અન્ય લોકો બનાસકાકા ગલબાકાકાની જન્મશતાબ્દી નિમિત્તે નિકળનારી પદયાત્રામાં જોડાવા માટે ઢોલ-નગારા અને શરણાઈઓના સૂર વચ્ચે ઉત્સાહભેર એકઠા થઈ રહ્યા હતા. ભારત સરકારના કેન્દ્રિય મંત્રીશ્રી હરીભાઈ ચૌધરી  તેમજ બનાસડેરીના ચેરમેનશ્રી અને રાજ્યના આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ અન્ય સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ પીઢ સહકારી આગેવાનોની ઊપસ્થિતિમાં મગરવાડા વિરમંદિરમાં દાદાના દર્શન કરી  ગાદીપતિ પૂજનિય વિજયસોમરત્નજી મહારાજ સાહેબના આશિર્વચનો સાથે ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે પદયાત્રાના શ્રીગણેશ કર્યા હતા.

હાથમાં ધજા-પતાકાઓ, બેનરો, સૂત્રચારો અને ડીજે ના તાલે નદીના પ્રવાહની જેમ ઝડપભેર મગરવાડાથી ગલબાભાઈની જન્મભૂમિ નળાસર તરફ આગળ ધપી રહેલી પદયાત્રાનું માર્ગમાં પશુપાલકો દ્વારા ગલબાભાઈ અમર રહો ના નારા સાથે ઠેર ઠેર ઢોલ-નગારા શરણાઈઓ, કુમકુમ તિલક અને ફૂલહાર થી ભવ્ય સ્વાગત થઇ રહ્યું હતું. તો ટીંબાચૂડી અને માલોસણા ગામના ગ્રામજનો દ્વારા પદયાત્રાનું સામૈયું કરીને નાની સભાના સુંદર આયોજન થકી નાના ગામને મોટું ગૌરવ બક્ષ્યું હતું. કર્મશીલ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના સત્કાર્યો પ્રતિ  જાણે લોકલાગણીનો પડઘો પડી રહ્યો હતો.ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એ કોઈ એક સમાજના નેતા ન હતા તે સર્વ સમાજના લોકસેવક હતા તે ખાસ યાદ રાખવું જરૂરી છે ખાસ કરીને ત્યારે કે જ્યારે તેમની જન્મ શતાબ્દીના વર્ષની ઉજવણીનો તેમના જન્મ દિવસ ૧૫.૦૨.૨૦૧૭થી પ્રારંભ થઇ રહ્યો છે.

GNP JS-4

બનાસડેરીના ચેરમેન અને આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પદયાત્રા દરમિયાન ટીંબાચૂડીમાં જાહેર સભાને સંબોધતા જણાવેલ કે કમનસીબે આપણા જિલ્લાના એક સાચા લોકસેવક સ્વ. ગલબાકાકા ના પ્રેરણાદાયી સત્કાર્યો ને યાદ કરી જન જન સુધી પહોંચડાવાના એટલા નકકર કાર્યો આજ સુધી થયા નથી તેઓશ્રીના સેવાકીય ગુણોનો જનહિત હેતુ  ખરેખર પ્રચાર-પ્રસાર થવો  જોઈએ એટલો આપણે કરી શક્યા નથી. સૌરાષ્ટ્રની જેમ આપણા જિલ્લાને ગલબાકાકાના સમકાલિન કોઈ ઝવેરચંદ મેઘાણી મળી ગયા હોત તો ગલબાભાઈનો આખો ઇતિહાસ વિશિષ્ટ રીતે આલેખાયો હોત જે જિલ્લાની આવનારી પેઢીને ખૂબ ફળદાયી સાબિત થઈ શક્યો હોત..

પદયાત્રામાં જોડાયેલા બનાસડેરીના ચેરમેન અને રાજ્ય આરોગ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, બનાસડેરીના  ડીરેક્ટરશ્રીઓ અન્ય આગેવાનોએ પદયાત્રીઓ સાથે સાથે માર્ગમાં આવતા ગલબાભાઈ ના ખેતર ની મુલાકાત લઇ સદ્દગતની તસ્વીર ને ફૂલહાર કરી જુના સંસ્મરણો વાગોળ્યા હતા. ગલબાભાઈ ઘરે થી પોતાના ખેતરમાં જવા માટે બને ત્યાં સુધી હોદાની રૂએ પોતાને મળેલ વાહનનો ઉપયોગ કરવાની જગ્યાએ પગપાળા જવાનું પસંદ કરતા હતા. ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન હોવા છતાં ખેતરના કામ જાતે કરવાનું પસંદ કરતા હતા અનેક લોકો જ્યારે ગલબાભાઈ ને જીલ્લાના કે ડેરીના કામ અર્થે જ્યારે તેમને મળવા ખેતરમાં જતા ત્યારે એક સામાન્ય ખેતમજૂર ની જેમ તેઓને મજૂરી કરતા જોઈ તેઓને અચરજ થતું. રવિશંકર મહારાજે જ્યારે ભૂમિદાન અભિયાન શરૂ કરેલું અને તે અંતર્ગત નળાસર ગામની મુલાકાતે આવેલા ત્યારે ગલાબાભાઈએ પોતાના ખેતરની અમૂક જમીન ભૂમિવિહીન લોકોને દાન કરેલી.

નળાસર ગામના ઝાંપે ગ્રામજનો દ્વારા પદયાત્રીઓની ઉમળકાભેર રાહ જોવાઈ રહી હતી. નાના ગામને શોળે શણગારે સજાવવામાં આવ્યું હતું. ઉત્તેજનાસભર વાતાવરણ વચ્ચે પ્રસંગને અનુરૂપ ઢોલ ઢબૂકી રહ્યા હતા તો શરણાઈઓ નુ ગુંજન વાતાવરણને ઉત્સાહ પ્રેરી રહ્યું હતું. પોતાના ગામ નળાસરને સમગ્ર જિલ્લા માં તેમજ વિશ્વ લેવલે પ્રસિદ્ધ કરનાર પોતાના ગામના સંતાન સ્વ.ગલબાભાઈના કાર્યોને આજે સમગ્ર બનાસકાંઠા જીલ્લો યાદ કરીને સાચી શ્રધાંજલી અર્પી રહ્યો હતો. જેમ જેમ પૂણ્યશાળી આત્માની જન્મભોમકા નજીક આવતી દેખાઈ તેમ તેમ પદયાત્રીઓમાં અનેરો રોમાંચ છવાયેલો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આખરે એ પળ પણ આવી જ્યારે આથમતી સંધ્યાએ નવો ઉજાસ લઈને “ગલબાકાકા અમર રહો” – જબ તક સૂરજ ચાંદ રહેગા ગલબાભાઈ કા નામ રહેગા સૂત્રોચારો સાથે પદયાત્રીઓએ નળાસર ગામમાં ઉત્સાહભેર પ્રવેશ કર્યો…ગામલોકો પદયાત્રીઓને સામૈયુ કરીને હર્ષભેર આવકાર્યા. બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીને હરખઘેલા ગ્રામવાસીઓએ ઊંચકી લીધા ચારેબાજુ ગલબાભાઈના નામનો જયજયકાર થઈ રહ્યો હતો.

બનાસડેરીના ચેરમેન અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, મંત્રી શ્રી કેશાજી ચૌહાણ તેમજ જિલ્લાના અન્ય આગેવાનો સાથે સ્વ. ગલબાભાઈના નિવાસસ્થાને પુષ્પાંજલી અર્પણ કરવા પહોંચ્યા જ્યાં તેમનુ સમસ્ત ગલબાભાઈ નાનજીભાઈ પટેલ પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ગલબાભાઈ જે મકાનમાં રહેતા હતા તે મકાનની મુલાકાત લઈ  ગલબાભાઈને પુષ્પાજંલી અર્પણ કરી પરિવારજનો સાથે ગલબાભાઈના  સંસ્મરણોને તાજા કરી ગલબાભાઈના જીવન વિશે વિશેષ માહિતી મેળવી. દરમિયાન ગલબાભાઈ નાનજીભાઈ પરિવાર દ્વારા બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈનો ગલબાભાઈની જન્મ શતાબ્દી ઊજવણી કરવાના નિર્ણય લઈ યથાયોગ્ય સન્માન કરવા બદલ હર્દયપૂર્વક વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

નળસરને ગાંદરે સભામંડપ હકડેઠ માનવમેદની થી ઊભરાઈ રહ્યો હતો. બનાસકાંઠાના સાસંદ અને કેન્દ્રીયમંત્રી શ્રી હરીભાઈ ચૌધરી, બનાસડેરીના ચેરમેન અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, દિયોદરના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કેશાજી ચોહાણ, ભાજપ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલ, બનાસડેરી અને બનાસબેંકના ડિરેક્ટરશ્રીઓ, બનાસબેંકના ચેરમેન અને અગ્રણી ધારાશાસ્ત્રી શ્રી એમ.એલ.ચૌધરી, બનાસબેંક અને બનાસકાંઠા જિલ્લા પંચાયતના  પૂર્વ ચેરમેન અને વડગામ તાલુકાના પીઠ સહકારી આગેવાન શ્રી દલસંગાભાઈ જે. પટેલ તથા વડગામ તાલુકા તેમન જિલ્લાના અન્ય સહકારી આગેવાનોએ આજના પ્રસંગે ઉપસ્થિત જનમેદની સમક્ષ  ગલબાભાઈની ઉત્તમ જીવનશૈલી તેમજ તે સમયના પછાત બનાસકંઠા જિલ્લાના ના તમામ સમાજને જગૃત કરી બેઠો કરવામાં તેઓશ્રીનું યોગદાન, દુષ્કાળના સમયમાં તેઓશ્રીએ હાથ ધરેલી કામગીરી , તે સમયના સમાજમાં પ્રવર્તેલી અંધશ્રધ્ધા, આભડછેટ  તેમજ કુરિવાજો જેવી બદીઓને નાબુદ કરવા તેમણે ઊઠાવેલી જહેમત તેમજ તેમના અન્ય સેવાકીય કાર્યોને બિરદાવી સમાજના વિકાસમાં સ્વ.શ્રીએ આપેલ યોગદાનને યાદ કરી સદ્દગતની જ્ન્મશતાબ્દી વર્ષની ઉજવણીને યથાયોગ્ય ગણાવી હતી. બનાસડેરીના ચેરમેને લાક્ષણિક અદામાં ગલબાકાકાને યુગપુરુષ તરીકે ગણાવતા જણાવ્યું હતુ કે નિયતી એ મને ગલબાકાકાના સતકાર્યોને ઉજાગર કરવાની જે તક આપી છે તેને હું મારું સદ્દભાગ્ય ગણું છુ. તેઓશ્રીના આશીર્વાદથી જિલ્લાના લોકોની  સેવા કરવાની મને તક મળી છે. બનાસકાંઠામાં ગલબાકાકાના આશીર્વાદથી મેડિકલ કોલેજ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને આ મેડિકલ કોલેજનું નામકરણ પણ લોકસેવક સ્વ. ગલબાકાકાના નામે થશે તે આપણા સૌના માટે ગૌરવની બાબત છે. સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થકી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવશે અને સદ્દગતના અધુરા રહેલા સપનાઓને સૌના સાથ સહકારથી પુરા કરવાનો પુરો પ્રયાસ કરવામાં આવશે.

સંસારમાં રહી સાધુજીવન ગ્રહણ કરવું કપરૂ કામ છે જેને સહજતાથી સ્વ. ગલાબાભાઈએ જીવનપર્યત નિભાવ્યું એ કોઈ સંત ના બિરૂદ કરતા ઓછું ના ગણી શકાય પણ ગલાબાભાઈને એવી લાલસા પણ ક્યા હતી ? પણ પણ સમાજે આદર્શ જીવન જીવી જનારા પોતાના લોક્સેવકો ને ક્યારેય ભૂલવા ના જોઈએ એ પણ એટલું જ જરૂરી છે જે સંદર્ભે સ્વ. ગલબાભાઈએ કરેલા સત્કર્મો ની કદરરૂપે બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી  અને સંચાલક મંડળ દ્વારા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો જે નિર્ણય લેવાયો છે તે સ્વ. ગલબાભાઈને સાચી શ્રધાંજલી અર્પવાની સાથે યથાર્થ છે.

૨૦૧૭ના સમગ્ર વર્ષ દરમિયાન બનાસડેરી, જિલ્લાની તમામ દૂધ મંડળીઓ તેમજ અન્યત્ર વિવિધ કાર્યક્રમો થકી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ જ્ન્મશતાબ્દી વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.

નળાસર દૂધમંડળી, નળાસર ગ્રામપંચાયત, બનાસડેરી તેમજ ગ્રામજનો દ્વારા પદયાત્રા કાર્યક્રમને યોગ્ય આયોજન થકી સફળ બનાવ્યો હતો.

– નિતિન એલ.પટેલ (વડગામ)