ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - જીવન ઝરમર, વ્યક્તિ-વિશેષ

શ્વેતક્રાંતિ ના સર્જક : – દેવેન્દ્ર પટેલ

[મનુષ્ય તરીકે કેટલું જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું જીવ્યા એ મહત્વું છે …કયા પદ ઉપર છો એ મહત્વનું નથી પણ કેવું કર્મ છે એ મહત્વનું છે અને એટલે જ તો આયુષ્યમર્યાદા પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં આ અવની પરથી કોઈનું નામો નિશાન ભૂસાઈ જાય છે તો કોઈનું અમર થઇ જાય છે. બનાસકાંઠા ની પ્રજા ને ધન્ય છે કે જેણે સાચા અને સજ્જન માણસો નાં આ પૃથ્વી ઉપરથી વિદાયને વર્ષોના વહાણા વહી ગયા બાદ પણ પોતાના દિલમાં તેમનું માન-સન્માન અક્બંધ રાખી જીવતા રાખ્યા છે અને તેમનામાંથી પ્રેરણા મેળવી રહ્યા છે. વડગામ તાલુકાના નળાસર ગામના વતની અને જીલ્લા નાં સાચા લોકસેવક ને વિદાય ને ૫૦ વર્ષ પૂર્ણ થવા આવ્યા હોય છતાં પણ એમના કાર્યોને , એમના જીવન ને વારંવાર યાદ કરવામાં આવતું હોય ત્યારે એ સત્ય સમજાય છે કે શરીર નાશવંત છે એટલે જાય છે સારા કર્મોની ફોરમ કાયમી રહી જાય છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત સ્વ.શ્રી ગલાભાભાઈ નાનજીભાઈ પટેલ વિશેનો લેખ તાજેતરમાં તા. ૩૧.૦૭.૨૦૧૮ નાં ગુજરાતના અગ્રહરોળ નાં દૈનિક સંદેશ સમાચાર પત્ર માં પ્રકાશિત થયો છે જે અક્ષરશ: આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ પટેલ ની પરવાનગી લઇ www.vadgam.com વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યો છે જે આપ અહી વાંચી શકો છો…….!! ]

GNP-31.07.2018બનાસકાંઠા એ ગુજરાતનો સરહદી જિલ્લો છે.રાજસ્થાનના સૂકાભઠ્ઠ રણ અને કચ્છની કોરીધાકોર જેવી રેતાળ બનાસકાંઠાની ભૂમિ પર પ્રકૃતિની કૃપા ઓછી છે પણ તેની માટીનું એક આગવું ખમીર છે. અહીંના લોકો પાણીદાર છે. કોઈ મુંબઈ જઈ ઝવેરી બન્યા છે તો કોઈ મોટા ઉદ્યોગપતિ. આ ભૂમિએ સાક્ષરો, કવિઓ અને શાયરો પણ આપ્યા છે. દલુભાઈ દેસાઈ જેવા ઉત્કૃષ્ટ નેતાઓ અને વિશાળ દિલના માનવી પણ આપ્યા છે. લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા અને બનાસકાંઠાની માટીની સુગંધના પ્રતીક એવા ગલબાભાઈ પટેલ પણ આપ્યા છે.

પાલનપુર પાસે આવેલી સુપ્રસિદ્ધ બનાસ ડેરી એ ગલાબાભાઈ પટેલનું જીવતું જાગતું સ્મારક છે. ઉત્તર ગુજરાતમાં ગલબાભાઈ પટેલ ગલબાકાકાના નામથી જાણીતા હતા.
એ વખતે બનાસકાંઠા એ રાજસ્થાનના નજીકના રણ જેવી ભૂમિનો જિલ્લો હતો. લોકો ગરીબ હતા, પરંતુ બનાસ ડેરીની સ્થાપના બાદ આ વિસ્તારમાં સુખ અને સમૃદ્ધિ વધ્યા. આજે આખો જિલ્લો ગલબાભાઈ પટેલને યાદ કરે છે.
૧૯૬૦ના દાયકામાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ‘અમૂલ’ એક મોટું નામ હતું. એ સમયગાળા પછી ૧૯૬૯માં ગલબાભાઈ પટેલે બનાસ ડેરીના નામથી નાનકડી શરૂઆત કરી હતી. ૧૯૬૯માં નાના પાયે શરૂ થયેલી આ બનાસ ડેરી આજે દૂધ ઉત્પાદનમાં એશિયામાં મોખરાની ડેરીઓમાં સ્થાન ધરાવે છે.

એસ.ટી. બસમાં ફરતા

ગલબાભાઈ પટેલનું જીવન નિષ્કલંક અને સાદગીભર્યું હતું. બનાસ ડેરીથી પોતાના વતન જવા માટે ઘણી વખત તેઓ ડેરીના વાહનના બદલે એસ.ટી. બસનો ઉપયોગ કરતા હતા. ગલબાભાઈ પોતાનું વાસણ જાતે માંજતા. ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા પછી પણ તેમણે સ્વાશ્રયની આ પ્રણાલિકા ચાલુ જ રાખી હતી. એમની નમ્રતા અને સાદગી જોઈ ઘણાંને આશ્ચર્ય થતું. અહંકાર, ઘમંડ અને અભિમાનથી તેઓ જોજનો દૂર હતા.

ગલબાકાકાનું જીવન

ગલબાભાઈ પટેલનું જીવન સ્વયં એક નવલકથા જેવું છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલનો જન્મ ૧૯૧૮ની સાલમાં વડગામ તાલુકાના નળાસર ગામમાં થયો હતો.ગલબાભાઈના પિતા નાનજીભાઈ ખેતીની આવક ધરાવતા નળાસર ગામના મધ્યમ વર્ગના ખેડૂત હતા. અનેક બાધાઓ-માનતાઓ બાદ નાનજીભાઈના ઘરે પગલીનો પાડનાર જન્મ્યો પણ બાળક બે વર્ષનો થાય તે પહેલાં પિતા ચાલ્યા ગયા. પુત્રનું નામ ગલબો પાડયું. માતાથી વૈધવ્ય સહન ના થતાં તેઓ પણ છ મહિનામાં જ પતિની પાછળ અનંતયાત્રાએ ચાલ્યાં ગયાં. નિરાધાર બાળક ગલબાને ઉછેરવાની જવાબદારી કાકા દલુભાઈ પટેલે ઉપાડી લીધી. મેનાકાકીની હૂંફ મળી. ગામમાં સ્કૂલ નહોતી. છોકરાનું મન ના લાગતાં તે સીમમાં ઢોર ચારવા જતો.

ઢોર ચરાવતા હતા

એ વખતે આખા નળાસરમાં માત્ર એક જ છોકરો ભણેલો હતો અને તે ગલબાભારથી. તે પોતાના મામાને ત્યાં રહીને ભણી આવેલો. તેણે બાળક ગલબાને ભણાવવાનું શરૂ કર્યું. બાળક ગલબો અને ગલબાભારથી ઢોર ચરાવવા હવે એક જ સીમમાં જાય અને ત્યાં ઢોરને છૂટાં જ મૂકીને બંને ઝાડની નીચે બેસી જાય. ઢોર ચરાવતાં બાળક ગલબાની પ્રવૃત્તિ વિશે તેમના કાકા દલુભાઈ જાણી ચૂક્યા હતા. આખરે તેમણે બાળક ગલબાને સ્કૂલમાં ભણાવવાનું નક્કી કર્યું. જો બાળક ગલબો બે-ત્રણ ચોપડી ભણે તો સારું એમ વિચારી તેને નળાસરની બાજુમાં જ મજાદરની એક ગામઠી શાળામાં મૂકવામાં આવ્યો. ત્યાં બે ચોપડી સુધી અભ્યાસ ચાલતો હતો તે અભ્યાસ પૂરો કર્યા પછી બાળક ગલબાને વાસણામાં મૂકવામાં આવ્યો. વાસણાથી દોઢ કિલોમીટર દૂર કાણોદરમાં મોટી શાળા હતી અને ત્યાં સાત ધોરણ સુધી અભ્યાસ ચાલતો હતો. તેથી બાર વર્ષની ઉંમરે કાકા અને કાકીની છત્રછાયા છોડીને હવે મૂળી માસીને ત્યાં રહેવા આવવાનું થયું. માસીને સંતાન નહોતું તેથી તેમને બાળક ગલબામાં જીવવાનું આધારબિંદુ મળી ગયું. કાણોદરની પ્રાથમિક શાળામાં બાળક ગલબાએ અસ્પૃશ્યતાની પરવા કર્યા વિના કેટલાક દલિત વિદ્યાર્થીઓને મિત્ર બનાવી દીધા.

નિષ્ફળતાનો આરંભ

ગલબો હવે ગલબાભાઈ બન્યો. વાણોતર હવે વેપારી બન્યો. હળ હાંકનાર હાથે ત્રાજવાં તો પકડયાં, ગલબાભાઈ ગરીબોને મફત વસ્તુ આપી દેતા. ઉધાર માગે તેને ના પાડતા નહીં અને લેણદારો પાસે કડક ઉઘરાણી કરતા નહીં. થોડા સમયમાં ગલબાભાઈએ શેઠના અડધા પૈસાનું પાણી કરી નાખ્યું. છેવટે કંટાળીને શેઠે એ દુકાન બંધ કરી અને ઉમરદસીમાં લાકડાંની લાટી કરી. ગલબાભાઈ તરફની કોઈ અકળ મમતાએ બેચર શેઠે ત્યાં જ ગરબાભાઈને ભાગીદાર બનાવ્યા. થોડા સમય સુધી તેમણે લાકડાંની લાટી ચલાવી, પરંતુ તેમાં પણ તેમને સરિયામ નિષ્ફળતા જ મળી. આખરે ગલબાભાઈ પોતાના ગામ નળાસર આવ્યા. નળાસરમાં તેમણે દુકાન કરી, પરંતુ તેમાં પણ તેમણે નુકસાન જ કર્યું. દુકાન આપોઆપ બંધ થઈ ગઈ. ખેતી અને વેપાર ક્ષેત્રે નિષ્ફળતા મળ્યા પછી તેમણે છાપીમાં ઈસબગુલની ઘંટીમાં એક મજૂર તરીકેનું કામ શરૂ કર્યું. ઈસબગુલની ઘંટીમાં ત્રણ ત્રણ મણની બોરીઓ તેઓ ઉઠાવતા, પરંતુ એમાં પણ કાંઈ ફાવ્યું નહીં. ફરી તેમનો વેપારનો મોહ જાગ્યો. હવે તેઓએ ભેંસો તરફ લક્ષ દોડાવ્યું. ભેંસ પારખવામાં ગલબાભાઈ ઉસ્તાદ હતા. કોઈ પણ ભેંસને એક વાર જોઈને તેઓ તેની સાચી પરખ મેળવી લેતા.

મુંબઈ તરફ

ભેંસોનો વેપાર કરતાં તેમનું લક્ષ મુંબઈ તરફ ગયું. મુંબઈમાં છાપીના કેટલાક મુમન ભાઈઓએ ભેંસોનો તબેલો બનાવ્યો હતો. ગલબાભાઈએ પણ વિચાર્યું કે જો મુંબઈમાં ભેંસોનો તબેલો બનાવવામાં આવે તો પોતે સફળ થશે. તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેમણે એક તબેલો બનાવ્યો. ભેંસોના તબેલાને કારણે તેઓ મુંબઈની જીવદયા મંડળીના સંપર્કમાં આવ્યા. ભેંસોના તબેલામાંથી ઓછું દૂધ આપતી ભેંસોને કતલખાને મોકલવામાં આવતી. આવી સેંકડો ભેંસો દર વર્ષે કતલખાનામાં વધેરાઈ જતી. જીવદયા મંડળી આવી ભેંસોને બચાવી લેતી, પરંતુ એ દુર્બળ ભેંસોને મુંબઈમાં ક્યાં રાખવી..?

જીવદયા : ભેંસોની સેવા

તેમણે જીવદયા મંડળીની સાથે નક્કી કરીને આવી ભેંસોને ગામડે લઈ જવાની જવાબદારી સ્વીકારી. મુંબઈથી તેઓ છાપીમાં આવ્યા અને છાપીમાં જીવદયા મંડળીની સ્થાપના કરી. મુંબઈની જીવદયા મંડળી ભેંસોને ટ્રેનમાં છાપી મોકલતી અને ગલબાભાઈએ ભેંસોની ડિલિવરી છાપી સ્ટેશનેથી મેળવીને ભેંસોને છાપી આસપાસનાં ગામડાંઓમાં મોકલી દેતા. ખેડૂતોને જીવદયા મંડળી તરફથી ભેંસોની ચરાઈ પેટે પૈસા આપવામાં આવતા અને ભેંસ ફરી પાછી સશક્ત થાય ત્યાં સુધીના વહીવટ જીવદયા મંડળીને નામે ગલબાભાઈ કરતા. દર વર્ષે લગભગ આવી ૬૦૦થી ૭૦૦ ભેંસો છાપી સ્ટેશને ઊતરતી હતી. ગલબાભાઈએ ત્રણ વર્ષ સુધી જીવદયા મંડળીમાં કામ કર્યું.

ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ

ગામડાંમાં વસતી વિધવાઓનું સન્માનભર્યું જીવન અને ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું લઈ જવું એ તેમનું સ્વપ્ન હતું. તેમના કઠોર પ્રયાસોને પરિણામે જિલ્લાના પાલનપુર અને વડગામ તાલુકાની આઠ સહકારી દૂધ મંડળીઓની નોંધણી સંપન્ન થઈ અને ૧૦ માર્ચ, ૧૯૬૬ના રોજથી દૂધ એકત્રિત કરી મહેસાણાની દૂધસાગર ડેરીમાં આપવાનું શરૂ કર્યું. આ પાયાના કાર્યથી ૩૧ જાન્યુઆરી, ૧૯૬૯ના રોજ સહકારી કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. પાલનપુરની નોંધણી થઈ અને આ રીતે બનાસ ડેરી અસ્તિત્વમાં આવી. ૧૪ જાન્યુઆરી, ૧૯૭૧ના રોજ ડેરી પ્લાન્ટનો શિલાન્યાસ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના હસ્તે સંપન્ન થયો હતો. ૧૯૫૨માં આઝાદ ભારતમાં પ્રથમ રાષ્ટ્રવ્યાપી ચૂંટણીઓ આવી. એ ચૂંટણીઓમાં કોંગ્રેસ સંસ્થાએ ગલબાભાઈને ઉમેદવાર તરીકે પસંદ કર્યા. દ્વિભાષી મુંબઈ રાજ્યની ધારાસભાની એ ચૂંટણીમાં ગલબાભાઈ ચૂંટાઈ આવ્યા.

બનાસ ડેરી

પ્રજાકીય કાર્યોમાં ગલબાભાઈનું મહત્ત્વનું પ્રદાન છે બનાસ ડેરી. તેમના પ્રયાસથી ૧૯૭૦માં પાલનપુરની નજીક વિશાળ જગ્યાની પસંદગી થઈ અને તેમાં આજની બનાસ ડેરીની સ્થાપના થઈ. પરંતુ એ આનંદ લાંબો ટકે તે પહેલાં જ ગલબાભઈ આ નશ્વર દેહને છોડીને ચાલ્યા ગયા. ઉત્તર ગુજરાતના આંજણા પાટીદાર સમાજના તેઓ શ્રેષ્ઠ રત્ન હતા.
(સંપૂર્ણ)
www.devendrapatel.in