વડગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને આયુષ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, પાલનપુર તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ ના સંયુક્ત ઉપક્રમે
તા -૬/૨/૨૩ સોમવાર ના રોજ બ્રહ્માણી માતાના મેદાન, વડગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આમંત્રિત મહેમાનો તેમજ સમગ્ર જિલ્લાના આયુર્વેદ અને હોમિયોપેથીક મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ અને યોગ નિષ્ણાત ની ટીમ હાજર રહી. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામના આર.એમ.ઓ. ડૉ જીતેન્દ્ર પ્રજાપતિ – એમ.એસ.(આયુ) ના જણાવ્યા અનુસાર સમગ્ર આયુષ મેળાના કાર્યક્રમ દરમિયાન રાખવામાં આવેલ આયુષ પદ્ધતિની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ જેવી કે આયુર્વેદ નિદાન સારવાર , હોમિયોપથી નિદાન સરવારનો ,યોગ નિદર્શન,સાંધા સ્નાયુના દુઃખાવામાં રાહત આપતી અગ્નિકર્મ ચિકિત્સા,આયુષ પ્રદશની, રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળા વિતરણ, સમશમની વિતરણ, આર્સેનિક આલ્બમ વિતરણ, સુવર્ણપ્રાશન,તથા અન્ય સેવાઓ નો કુલ 4700 થી વધુ લોકોએ લાભ લીધો હતો.

આપણા જીવનને જીવનના અંત સુધી તંદુરસ્ત રાખવું હોય તો દૈનિક જીવનચર્યા , ઋતુચર્યા શરીરની પ્રકૃતિ, ખોરાકની પસંદગી અને તાસીર ઉપરાંત જીવનમાં યોગના મહત્વને બરાબર સમજવું પડે અને આ બધી બાબતો આર્યુવેદમાં સ્પષ્ટ પણે સમજાવે છે એટલે આપણી જીવનશૈલીને ઠીકઠાક રાખવાનો રાહ આર્યુવેદ પાસે છે. બિમાર જ ન પડવું હોય તો આપણી જીવનશૈલી તરફ ધ્યાન , ઋતુચર્યા પણ ધ્યાન આપવું પડે, શરીરની પ્રકૃતિને સમજી એ પ્રમાણે ખોરાક લેવો પડે એવું મને તાલુકા મથક વડગામ મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર પ્રેરીત નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર નિર્દેશિત અને આર્યુવેદ શાખા, જિલ્લા પંચાયત, બનાસકાંઠા તથા સરકારી આર્યુવેદ હોસ્પિટલ, વડગામ. દ્વારા આયોજિત આયુષ મેળામાં સમજાયું.

શરીર સ્વાસ્થ્ય અંગે આર્યુવેદ જે કહે છે એને સમજીને પચાવવું પડે તો એના આરોગ્યલક્ષી ઉત્તમ પરિણામો મળે.

આયુષ મેળામાં ઈન્ટરનેશનલ કક્ષાએ યોગમાં જેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે એવી વડગામ તાલુકાના મેગાળની દિકરી અર્પિતા ચૌધરી તેમજ નાનકડા ચારવિક પ્રજાપતિએ આજના પ્રસંગે યોગનું અદ્દભૂત પર્ફોર્મન્સ આપ્યું હતું.

આપણે આપણા વિસ્તારમાં યોજાતા આવા લોક ઉપયોગી મેળાઓમાં અવશ્ય જવું જોઈએ જેથી આપણે વિશેષ જરૂરી જ્ઞાન પ્રાપ્ત કરી આપણા જીવનને વધુ આનંદદાયક બનાવી શકીએ.

લોકમેળાનો આનંદ તો ઘણી વખત માણેલો પણ આયુષ મેળો માણવો એ મારા માટે જીવનની પ્રથમ ઘટના હતી. આયુષ્ય મેળામાંથી મળેલ આરોગ્યલક્ષી ભાથુ જીવનને તંદુરસ્ત રાખવામાં બળ પુરૂ પાડશે.

આયુષ્ય મેળામાં એક શબ્દ સાંભળવા મળ્યો દર્દી નારાયણ જે ઘણો સુચક હતો.

II સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા II

For more Photographs Click on Following Link

https://tinyurl.com/Ayush-Melo-Vadgam