ગામડાઓ નો પરિચય

મેજરપુરા…..

કોઈ પણ ગામની રચના પાછળ કોઈને કોઈ કથા છુપાયેલી હોય છે.વડગામ મહાલના મેજરપુરા ગામની રચનામાં  પણ ઐતિહાસિક કથા છુપાયેલી છે.આ ગામની રચના કેવી રીતે અને કેવા સંજોગોમાં થઈ એનો ઇતિહાસ ઘણો રસપ્રદ છે.

પાલણપુર સ્ટેટના શાસન વખતે ભાખર ગામ માં  ભાટી,ચૌહાણ.ડોડીયા,પરમાર જેવી અટક ધરાવતા રાજ્પૂતો રહેતા હતા.વિક્રમ સવંત ૧૮૮૫માં  આ રાજ્પૂતોને ગામના જ પાલવી દરબારો સાથે કજીયો થયો હતો.દરમિયાન એ અરસામાં  ગામના બે રાજપુત બાદરજી ભાટી અને વખતસિહજી ભાટી ગામના ભાઈઓ ઉપર વાઘે હુમલો કર્યો હતો.વાઘ વખતસિહને કાંડા માંથી પકડી બોડમા ઘસડી ઘયો હતો ત્યારે મા જણ્યા ભાઈને બચાવવા ઝનુનમાં  બાદરજી બહાદુરીપૂર્વક વાઘની બોડમા ઘુસી ગયા હતા.બાદરજીએ વાઘનો સામનો કરી ભાઈ વખતસિહને તો છોડાવી લીધા પણ હાથમા આવેલા શિકારને મોમાંથી છોડાવી જનાર બાદરજી ઉપર ક્રોધે ભરાયેલા ખુંખાર વાઘે બાદરજીના માથા માં  પંજો મારી લોહી લુહાણ કરી દીધા હતા.વખતસિહને બચાવીને ઘેર લઈ આવેલા બાદરજીને એ વખતે દરબારોએ આવીને તેમના ઘા ઉપર મીઠુ ભરવાની સલાહ આપતા તેઓએ ભોળપણ માં  એ સલાહને અનુસરતા મીઠાની આડઅસરથી ઝેર ચડી જતા બાદરજી થોડા સમયમા જ મૃત્યુ  પામ્યા હતા.એ વખતે તેઓના કુટુંબીજનોને સ્મશાનમાજ એ વાતનો અહેસાસ થયો કે,આ તો જુના કજિયાનુ વેર વાળવા દરબારોએ ખોટી સલાહ આપી હતી.જેમા બાદરજીને ગુમાવવાનો વારો આવ્યો હતો.,બસ એ જ ઘડીએ રાજ્પુતોએ આવુ ગામ છોડી દેવાનો સંકલ્પ કરી લીધો.

બીજા જ દિવસે રાજપુત સમાજના આગેવાનો પાલણપુર આવીને નવાબ સાહેબને મળ્યા અને તમામ ઘટનાથી વાકેફ કરી પોતાનો ગામ છોડી દેવાનો મનસુબો જાહેર કરી પોતાના વસવાટ માટે રાજ માં  નવુ ગામતળ ફાળવવાની વિનંતી કરી.પોતાની રૈયતના દુ:ખે દુ:ખી અને સુખે સુખી રહેતા પાલણપુરના પ્રજાપ્રેમી રાજવીએ તરત જ રાજપુતોની માંગણી ગ્રાહ્ય રાખી તેમને ત્રણેક જગ્યાઓ બતાવી,જેમાંથી એક ગામતળ રાજપુતોએ પસંદ  કરતા અહી ગામ વસાવાયુ હતુ.આ ગામ વસ્યા બાદ પાલણપુર નવાબે ગામની મુલાકાત લેતા રાજ્પુત આગેવાનોએ ગામ માટે ગામતળ આપનાર નવાબ સાહેબને જ ગામનુ નામ આપવાની વિનંતી કરતા જોગાનુજોગ એ જ અરસામા પાલણપુર નવાબ તાલેમહમદખાનજી સાહેબને મેજરનો ઇલ્કાબ મળેલ હોઈ તેઓએ મેજર પરથી મેજરપુરા નામ રાખવાનુ સૂચન કરતા આગેવાનોએ આ નામનો સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.આ ગામની સ્થાપના ચૈત્ર સુદ પૂનમ વિક્રમ સવંત ૧૮૮૬મા થઈ હતી.આ ગામ માં  હાલમા પણ રાજ્પુતો હળીમળીને રહે છે.

(આ લેખ નેશનલ વેલ્ફેર ફાઉંડેશન પાલનપુર ના સૌજન્યથી-પ્રમુખ:-સૈયદ શરીફ ચશ્માવાલા)