મારું વડગામ

વડગામ તાલુકો – એક પરિચય

વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. ભૌગોલીક સ્થાન અક્ષાંશ ૨૪.૦૫ રેખાંશ ૭૨.૨૮ વડગામમાં ૧૧૦ જેટલા ગામો આવેલા છે. મુખ્ય પાકો બાજરી,મગફળી, મકાઇ, કપાસ , એરંડા, તલ, મગ, અડદ, રાઇ, ચણા, ઘઉ, બટાકા, મેથી, લસણ, રજકો, જુવાર, જવ છે. વડગામ તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી ,ડાયમંડ તેમ જ પશુપાલન છે. તાલુકા નાં લગભગ દરેક ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ઘઉ,બાજરી,રાયડો અને એરંડા મુખ્ય પેદાશો છે.કપાસ,મકાઈ,કઠોળ પણ કેટલાક વિસ્તારો મા થાય છે.શેરડી,વરી કમોદ ની ખુશ્બુ ભુતકાળ બની ગઈ છે. મુમનવાસ-મોરીયા ના પટ્ટા મા મગફળીની ઉપજ થાય છે.વડગામ તાલુકા મા ખેડૂત મહિલાઓના ભારે પરિશ્રમ ના પરિણામે દૂધનો વ્યવસાય ખુબ જ સારો વિકાસ પામેલ છે.

વડગામ તાલુકો એ ૧૧૦ ગામો સાથે સંકળાયેલો તાલુકો છે. એક સમયે બનાસકાંઠા જીલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકો ધાન્ધાર પંથક તરીકે ઓળખાતો હતો કારણ કે અહીંથી વર્ષો અગાઉ બે કાંઠે સરસ્વતી નદી પસાર થતી હતી.જેના પાણીથી આ વિસ્તારમાં ધાન પુષ્કળ પાકતુ હતું.પરંતુ સરસ્વતી નદી પર મુક્તેશ્વર ડેમ બંધાતા નદીનું વહેણ બંધ થઈ ગયુ છે.જો કે ડેમ ના કારણે સમગ્ર તાલુકાના ખેડુતોને પિયત માટે પાણી મળી રહેવાની આશા બંધાઈ હતી.પરંતુ અનિયમિત અને ઓછા વરસાદના કારણે ઘણી વખત ડેમ ભરાતો નથી અને ભરાય છે તો તેનું પાણી છેક ખેરાલુ તાલુકામાં છોડાય છે.પણ જે તાલુકાની ધરતી પર ડેમ બંધાયો છે તે તાલુકામાં ડેમનું પાણી છોડાતું નથી.તેથી આ તાલુકાના ખેડુતો નદી કાંઠે તરસ્યા રહી જતા ઘરના છોકરા ઘંટી ચાટેને પડોશીને આટો જેવો ઘાટ ઘડાયો છે.જેના કારણે આ તાલુકામાં ભુગર્ભ જળ ઉત્તરોત્તર નીચે જતા ખેડુતો માટે પિયતનો યક્ષ પ્રશ્ન સર્જાયો છે.

૧૧૦ ગામો ધરાવતો વડગામ તાલુકાને હવે પછાત તાલુકો ગણાય છે અને આ પછાત ગણાતા વડગામ તાલુકાની પ્રજા મોટા પાયે પશુપાલન અને ખેતી ઉપર નભે છે. ત્યારે છેલ્લા કેટલાંય સમયથી ચોમાસુ નિષ્ફળ જતાં પાણીના અભાવે ખેડૂતોને ખેતીનું ઉત્પાદન થતું નથી. જેના કારણે પશુપાલન ઉપર નભતા ખેડૂતો વ્યવસાય કરી રહ્યાં છે. એમાંય ઘાસચારો અન્ય જિલ્લામાંથી ઉંચા ભાવે ખરીદવો પડે છે. વડગામ તાલુકામાં ભૂગર્ભ જળની કટોકટી ઉભી થવા પામી છે. જેથી ખેતી અને પશુપાલન પર નિર્ભર આ તાલુકાના લોકોની હાલત કફોડી બની જવા પામી છે. સરકાર દ્વારા વડગામ તાલુકામાં આવેલા મુખ્ય મુકતેશ્ર્વર જળાશય સહિત કરમાંવદ સરોવર, બલાસર તળાવ તેમજ ઉમરેચા રિચાર્જ બેરેજને નર્મદાના નીરથી ભરવામાં આવે તો ભૂગર્ભ જળ ઉંચા આવે તેમજ આ જળાશય, તળાવ અને રિચાર્જ બેરેજમાંથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી પુરૂ પાડવામાં આવે તેવી વડગામ તાલુકાના ખેડૂતોની વર્ષો જુની માંગ છે. ધાન્ય ધરા ધાનવર ગણાતા વડગામ તાલુકામાં એક સમયે સારાય પાકને લીધે સરસ્વતી કાંપણી મેત્રયણ નદી બારેમાસ વહેંતી હતી ત્યારે ખેડૂતોને અનાજના ભંડાર ભરેલા રહેતા. શિયાળુ , ઉનાળુ સિઝનમાં પેદા થયેલ અનાજનો વિનિમય કરતાં પણ વધતું જેથી બહારના વિસ્તારમાં અનાજ નિકાસ થતું હતું.વડગામ તાલુકામાં શેરડી અને કમોદનું ઉત્પાદન વિશેષ થતું. પરખડીની કમોદ ત્યારે વખણાતી.

પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી વરસાદના અભાવે ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ખેતી વ્યવસાય પડી ભાંગ્યો છે. ફક્ત પશુપાલન વ્યવસાય આધારીત ખેતી થતીહોય છે. કેટલાક ખેડૂતો જમીનો વેચીને અન્ય વ્યવસાયમાં લાગી ગયા છે. વડગામ તાલુકાના ૧૧૦ ગામોની ૯૦ ટકા પ્રજા પશુપાલન વ્યવસાય વડે જીવન નિર્વાહ ચલાવે છે. બહારના વિસ્તારોમાંથી ઊંચા ભાવે ઘાસચારો ખરીદ કરતાં દુધની ઉપજમાંથી બચત ઓછી થાય છે. ખર્ચ વઘુ થાય છે. મુક્તેશ્વર જળાશયમાં પણ પાણીની આવક રૂણ લેવલથી નીચી થઇ હોવા છતાં ડેમનું પાણી સમી, હારીજ મોકલવામાં આવે છે. જેથી નદિપટ્ટાના ગામોને પણ ખેતીના પાણી માટે મુશ્કેલી સર્જાય તેવું જણાય છે . વડગામ તાલુકાનુ પશુધન બચાવવા ઘાસચારાની તંગી નિવારવા મુક્તેશ્વર જળાશયનું પાણી તેમજ નર્મદા નું પાણી વડગામ પંથક માં મોકલાય તેવી અત્રેના ખેડૂતોની માંગ છે.

વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાંથી બે કેનાલ નિકળે છે. જેમાં ડાબાકાંઠાની કેનાલમાં વડગામ તાલુકાના કેટલાક ગામો અને ખેરાલુ તાલુકાના કેટલાક ગામોની જમીન મળી અંદાજીત ૪૦૮૬ હેકટર જમીન કેનાલના પિયત વિસ્તારમાં આવે છે. તો જમણાકાંઠાની કેનાલમાં વડગામ તાલુકાના ગામોની અંદાજીત ૨૧૦૦ હેકટર જમીનનો પિયત વિસ્તારમાં સમાવેશ થાય છે. પરંતુ  જ્યારે કોઈ વર્ષમાં ચોમાસામાં વરસાદ ઓછો આવે તેવા સંજોગોમાં  ડેમમાં પાણીની આવક ઓછી થાય છે. જેથી ડેમમાંથી નહેરોમાં સિંચાઇ માટે પાણી અપાય તેવી સ્થિતિ હોતી નથી. જેના કારણે તેવા સમયે શિયાળા કે ઉનાળામાં કેનાલ મારફતે ખેડૂતોને એકપણ પિયત માટે પાણી આપવામાં આવતુ નથી. પરિણામે વડગામ  તાલુકાના ગામોની કેનાલના પિયત વિસ્તારમાં આવતી ૨૧૦૦ હેકટરથી વધુ જમીન અને ખેડૂતોના પાક ઉત્પાદન પર અસર થતી હોય છે.

ગુજરાત રાજ્યના ગેજેટીએર (૧૯૮૧) મા દર્શાવ્યા મુજબ વડગામ તાલુકાની ચતુરસીમા પૂર્વ-પશ્રિમ મ ૩૨ કિ.મી.ઉત્તર-દક્ષિણ ૨૫ કિ. મા એકસો દસ ગામ આવેલ છે.તાલુકાનો કુલ વિસ્તાર ૫૬૫.૮૭ ચો.કિ.મી. અને કુલ જન સંખ્યા ૨૦૦૧ના સર્વેક્ષણ મુજબ ૨,૦૫,૯૯૨ અને કુલ રહેણાંકો ૪૦,૭૩૫ છે. પ્રાથમિક શાળાઓ -૧૪૭ અને માધ્યમિક શાળાઓ ૩૧ છે.જેમા ૬૧ % સાક્ષર છે.તાલુકાના ૮૫.૦૨૦ કિ.મી સ્ટેટ હાઈવે સાથે જોડાયેલા છે.જીલ્લા પંચાયતના ૧૨૬.૭૨૦ કિ.મી અને ૪૮.૩૬૫ કિ.મી ગ્રામ્ય એપ્રોચ માર્ગો છે.આમ કુલ ૩૨૦.૮૯૦ કિ.મી ના રસ્તાથી સંકળાયેલો તાલુકો છે.વડગામ,છાપી,જલોત્રા,કોદરામ,ગીડાસણ અને બસુ ૬૬ કે.વી ના સબ સ્ટેશનો ધરાવતા મથકો છે.હાલ ૧૯ પે.કેન્દ્ર શાળાઓની સાથે ૧૫૧ પ્રા.શાળાઓમા ૯૪૮ શિક્ષકો સાઈઠ હજાર ત્રણસો પિસ્તાલીસ બાળકો ને પ્રાથમિક શિક્ષણ આપી રહ્યા છે.

વડગામ તાલુકા માંથી મુખ્ત્વે ત્રણ નદીઓ અરજણ નદી ,સરસ્વતી નદી,ઉમરદશી પસાર થાય છે. મોટા ભાગ ની નદીઓ વર્ષ દરમિયાન કોરી રહે છે,જો યોગ્ય આયોજન કરી આ નદીઓ નો ઉપયોગ કરવામા આવે તો વડગામ તાલુકા મા પાણીની સમસ્યા મહ્દ અંશે ઉકેલી શકાય તેમ છે. બનાસકાંઠા જિલ્લા ના સહકારી માળખા ના પાયા ના શિલ્પીઓ નુ ઉદભવ સ્થાન વડગામ તાલુકો કહેવાય છે.બનાસડેરી તેનો ઉત્તમ નમુનો છે. ગલબાભાઈ નાનજીભાઈ પટેલ (ગલબાકાકા) અને તેમની ટીમના પાયાના આગેવાનો મા ફલુભા,પરથીભા,સરદારભા,(ભા એટલે માનનીય ) આ બધા જ વડગામ મહાલ ના (તાલુકાના ) સાચા સેવક થઈ ગયા.વડગામ તાલુકા અનાજ ઉત્પાદન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) માટે સ્વ.લાલજીભાઈ (મામા) પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.આજે માર્કેટયાર્ડ ને તેમનુ નામ અપાયુ છે. વડગામ તાલુકો અને તાલુકા મથક નુ ગામ પણ વડગામ. જિલ્લાની વડી કચેરીઓના પાલનપુર મથક સાથે સંકળાયેલી મોટા ભાગની તાલુકા કચેરીઓ અહી આવેલ છે.એસ.ટી.ડેપો ની ઉણપ છે.રાજ્ય ધોરી માર્ગોથી સંકળાયેલા આ તાલુકાના મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર પાકા રસ્તાઓથી સાંકળી લેવામા આવેલ છે.શેક્ષણિક દ્રષ્ટિએ પણ ઘણી સારી પ્રગતિ સાથે તાલુકા મથક ખાતે આર્ટસ કોલેજ પણ થઈ જવાથી વિધ્યાર્થીઓને મોટી રાહત છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે બનાસકાંઠાની ૯ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મતદારોની સંખ્યા વડગામ વિધાનસભાની બેઠકમાં. વડગામ વિધાનસભા બેઠકના કુલ ૨,૩૪,૦૯૧ મતદારો પૈકી ૧,૧૮,૮૦૬ પુરૂષ મતદારો અને ૧,૧૫,૨૭૩ સ્ત્રી મતદારો નોંધાયા.

વડગામ તાલુકાની સામાન્ય માહિતી (૨૦૧૧)

તાલુકાનું નામ અને મુખ્ય મથક વડગામ કુલ ગામોની સંખ્યા ૧૧૦
ગ્રામ પંચાયતો ૮૧ નગરપાલિકા ૦૦
તાલુકાની વસ્તી ૨૦૫૯૯૨ અનુ. જનજાતિ ૪૯૨૮
અનુ.જનજાતિ (%) ૨.૩૯ અનુ. જાતિ ૩૪૨૩૨
અનુ. જાતિ (%) ૧૬.૬૨ વસ્તી ગીચતા ૩૬૪
સ્ત્રી / પુરૂષ પ્રમાણ ૯૬૨ પુરૂષ સાક્ષરતા ૮૩.૦૭
સ્ત્રી સાક્ષરતા દર (%) ૫૪.૧૮ કુલ સાક્ષરતા દર ૬૮.૭૮
તાલુકાનું ક્ષેત્રફળ ચો.કિ.મી. ૫૫૯.૧ ન્યુનત્તમ ઉ.માન (ડિગ્રી)
જિલ્લા મુખ્ય મથક થી અંતર ૧૪ મહત્તમ ઉ.માન (ડિગ્રી) ૪૫
સરેરાશ વરસાદ (મી.મી) ૪૮૯ જંગલ વિસ્તાર ૧૩૨૦
વરસાદ માપક સ્ટેશન પર્વતો ગુરૂ ભાંખરો
ભૌગોલિક વિસ્તાર સામે જંગલ ૨.૩૪ નદીઓ સરસ્વતી,અર્જુની,જોયણ,ઉમરદસી
તલાટી સેજા ૮૧ જમીન પ્રકાર ગોરાડું , કાળી
ટકા સિચિંત ૭૮.૬૯ ટકા ગોચર ૭.૫૫
ટકા વન ૨.૪૫ બિન ખેડાઉ ૩૭૯૭
બિનસંચીત ૯૦૭૧ કાર્યરત સિંચાઈ યોજના મોકેશ્વર,ગીડાસણ,નાંદોત્ર
સિંચાઈ વિસ્તાર ૧૮૦ હે. મુખ્ય પાકો બાજરી,દિવેલા,રાઈ,ઘંઉ
વાહન વ્યહવાર એસ.ટી, પ્રાઈવેટ
વ્યા.ભાવની દુકાનો ૭૫ ખાનગી દુકાનો ૬૬
સહકારી દુકાનો ડીજલ / પેટ્રોલ પંપ
ગેસ એજન્સી બી.પી.એલ કાર્ડ ૧૩૦૫૧
બી.પી.એલ જનસંખ્યા ૬૯૧૨૭ અંત્યોદય કાર્ડ ૩૨૨૫
અંત્યોદય જનસંખ્યા ૧૦૮૯૦ કુલ કાર્ડ ૪૭૫૨૪
કુલ જન સંખ્યા ૨૩૮૬૭૬ પ્રા.શાળાઓ પેટા વર્ગ ૧૪૨
માધ્યમિક શાળાઓ ૨૫ ઉચ્ચત્તર મા. શાળાઓ ૧૫
કોલેજ આંગણવાડી ૨૧૩
મ.ભ.યો. કેન્દ્ર ૧૫૧ આશ્રમશાળા (૧) ફતેગઢ (૨) ઇકબાલગઢ
આઈ.ટી.આઈ સામુહિક આરોગ્ય કેન્દ્ર મેમદપુર, વડગામ,મોરીયા
ગાયો ની સંખ્યા ૭૯૬૬૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચડા,છાપી,મેતા,જલોત્રા,પીલુચા,કોદરામ,કાલેડા
ભેંસોની સંખ્યા ૧૨૪૪૪૧ આં.રાજ્ય સીમા રાજ્ય —-
પેટા કેન્દ્ર ૧૭ મુખ્ય પશુધન (કુલ) ૨૦૪૧૦૭
પશુ દવાખાના મુખ્ય પશુધન પેદાશ દુધ,છાશ,ખાતર
૬૬ કે.મી સબ સ્ટેશન પોલીસ સ્ટેશન ૨- વડગામ, છાપી
કોમ્યુનીટી હોલ ૮૪ સેવા સહકારી મંડળી ૬૪
દૂધ સહકારી મંડળી ૧૨૦ માર્કેટ યાર્ડ
સહકારી બેંકો ૩૧ રાષ્ટ્રીયકૃત બેંકો
પોસ્ટ ઓફીસ સબ પોસ્ટ ઓફિસ ૩૬
નેશનલ હાઈવે ૦૦ સ્ટેટ હાઈવે ૮૫ કી.મી.
પંચાયત ૮૨ રેલ્વે સુવિધા મેળવતા ગામો છાપી, ધારેવાડા
કુલ રહેંણાકો ૪૦,૭૩૫ મુખ્ય ધંધા રોજગાર કૃષિ, પશુપાલન, હિરા

 

વડગામ તાલુકામાં આવેલા ગામોની યાદી (તાલુકા મથક વડગામથી હવાઈ અંતર સાથે) (Air Distance from Vadgam (in KM) –      www.vadgam.com

 www.vadgam.com
.