રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ

રશ્મિકા પંચાલની શ્રેષ્ઠ કૃતિઓ : ભાગ – ૧

[ રશ્મિકાબેન રાહુલભાઈ પંચાલ વડગામ તાલુકાના વડગામના વતની છે. તેમની સ્વરચિત વિચારોના અંશ માંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી આ વેબસાઈટ ઉપર સમયાંતરે મુકવામાં આવશે.]

 

(૧)

મલકની માયા

રોજ  સાંજે  આરતી  ટાણે , રામજી  મંદિર માં ઝાલર વાગે,

ધણ ગાયોના પાછા ફરે , વન  વગડે થી  ગામ  ભણી.

દિ’ આખાનો  થાક  લઈને , હાથ  હૈયું ને હામ  લઈને ,

ખેડૂ ભાઇઓં  પાછા  ફરે , એકબીજાને  સાદ  દઈને.

ઘેર-ઘેર  ચૂલે  આંધણ ચડે , નાર  ખોરડાની  રોટલા  ઘડે,

વાળું ટાણે  સૌ  ભેગા ભળે  , થોડું મળે એમાં  ઝાઝું ગણે.

શહેર માં જાહોજલાલી  મળે , તોય ગામની માયા ના ટળે.

સીમ,પાદર ને  ખેતર મારા ,  સપનેય  કદી  ના વિસરે.

 

(૨)

વર્તન તમારું

ટહુકતા મોરલાને જેમ નર્તન વગર ના ચાલે,
ગણગણતા ભમરાને ગૂંજન વગર ના ચાલે.

સૂરજ ને જેમ સોનેરી સંધ્યા વગર ના ચાલે,
ને ચાંદા ને જેમ ચાંદની વગર ના ચાલે.

પંખીઓ ને પણ જેમ કલરવ વગર ના ચાલે,
ને પગદંડી ને પગરવ વગર ના ચાલે.

એમ તમારું પણ તો આ કેવું છે વર્તન વળી,
કે અમને ઘડીયે તમારા વગર ના ચાલે.

 

(૩)

કરમ

આ દુનિયામાં દરેકને પોતાના કરમ નડે છે,
કેમકે,ખોટું કરતાં ક્યાં બે આંખોની શરમ અડે છે.

આ તો વિપત પડે વલખાં મારવા પડે છે,
નહીં તો અહીંયા ધરમ ના કોણ પાયે પડે છે.

કામ વગર આજે કોઈ ક્યાં કોઈને મળે છે,
યાદ મિત્રની ત્યારે જ આવે જ્યારે કામ પડે છે.

સ્વાર્થ ખાતર તો સૌ આજે સબંધ જોડે છે,
માંગવું હોય કંઈક તો જ મંદિરમાં હાથ જોડે છે.

નસીબ સુધારવા કરમ તો કરવા જ પડે છે,
કેમકે,કરેલાં કરમ તો સૌએ ભોગવવા જ પડે છે.

 

(૪)

ભેદ 

જો જો આ વાત કદીના ભૂલાય,
દીકરા-દીકરી માં ભેદ ના રખાય.

દીકરો જન્મે ત્યારે પેંડા વેચાય,
દીકરી જન્મે ત્યારે જલેબી વેચાય.

દીકરો જો ઘરનો વારસ કહેવાય,
તો દીકરી સ્નેહનો પારસ કહેવાય.

બાળક તો માઁ નો અંશ કહેવાય,
તો દીકરો જ કેમ વંશ કહેવાય.

દીકરા-દીકરીમાં જો ભેદ ના થાય,
તો ભ્રૂણહત્યા કદીયે ના થાય.

માઁની મમતાના જેમ ભાગ ના પડાય,
દીકરા-દીકરીમાં એમ ભેદ ના રખાય.

 (૫)

આગમન

ધોમ ધખતા આ તાપ માં,
તમે વાદળ બની ને આવ્યા.

ક્યારનાં તરસ્યાં હતાં અમે,
ને તમે ઝાકળ બનીને આવ્યા.

મન તણી મહેચ્છાનો મારી,
તમે કાગળ બની ને આવ્યા.

સ્નેહ ની આ કડીઓ ની,
તમે સાંકળ બની ને આવ્યા.

વ્હાલ તણી આ વર્ષા માં,
તમે મોર બની ને આવ્યા.

દિલ ની આ દોલત ના,
તમે ચોર બની ને આવ્યા.

 

(૬)

સભ્યતા

સભ્યતા થી જ સમાજ નો વ્યવહાર હોય છે,
જેના વગર સમાજ સાવ નિરાધાર હોય છે.

એવું નથી એ માત્ર માણસો ની જાગીર હોય છે,
સભ્યતા તો પશુઓ ને પંખીઓમાં પણ હોય છે.

સભ્યતા થી જ તો દેખાતા સંસ્કાર હોય છે,
કેમ કે સભ્યતા પર જ સંસ્કૃતિનો આધાર હોય છે.

 

(૭)

અભિવ્યક્તિ પ્રેમની

રહી રહીને વિચાર મનમાં એટલો જ આવે છે,
જેટલું હું ચાહું તું પણ શું મને એટલી જ ચાહે છે.

મારા પ્રેમ નું તો દરરોજ જાણે પૂર આવે છે,
તો તારા પ્રેમમાં કેમ ભરતી અને ઓટ આવે છે.

શું ખોટ છે મારા પ્રેમમાં સવાલ એજ આવે છે,
કે સમજતો નથી તું પ્રેમ ને જવાબ એજ આવે છે.

ક્યારેક તો મને પ્રેમ પણ એક વહેમ લાગે છે,
કેમકે તને તો પ્રેમ અભિવ્યક્ત કરતાંય શરમ આવે છે.

ચાહે છે તું પણ મને અને ચાહું છું હું પણ તને,
પણ કોણ કેટલું વિચાર બસ એજ આવે છે.

મારું તો તું દરરોજ સાંભળે જ  છે,
ક્યારેક તો કહે કે તું શું વિચારે છે.

કહેવું હતું એતો બધું કહી દીધું મે,
જોઉં છું જવાબ તારો શું આવે

 

–  રશ્મિકા પંચાલ (વડગામ)