જલોતરા-કરમાવાદ’ અને ‘ધાનધાર પંથક’ એ પ્રાચીન સમયમાં ‘સારસ્વત ક્ષેત્ર’ ના જાણીતા પ્રદેશ હતા.
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી
આજનું ‘જલોતરા-કરમાવાદ’ અને ‘ધાનધાર પંથક’ એ પ્રાચીન સમયમાં ‘સારસ્વત ક્ષેત્ર’ ના જાણીતા પ્રદેશ હતા. ‘ક્ષેત્ર’ એ અનેક પંથક મળીને બનતો, જેમકે આજે અનેક તાલુકા મળીને જિલ્લો બને છે.પ્રાચીન સરસ્વતી નદી આ વિસ્તારમાં થઈને વહેતી હતી તેનો ઉલ્લેખ ઋગ્વેદ ,સામવેદ અને અથર્વવેદમાં મળે છે. (The Saraswati in ligend and literature – Pandya Amrit, Lost Saraswati, 1967,pp.46 to 50). મહાભારત, સ્કંદપુરાણ અને પદ્મપુરણમાં આ તીર્થનો ઉલ્લેખ છે. આજના ધાનધારની અરવલ્લીનો વન વિસ્તાર ‘અર્બુદ અરણ્ય’ તરીકે અને “સારસ્વતિક ક્ષેત્ર” તરીકે જાણીતો હતો. સારસ્વતિક ક્ષેત્રની પવિત્ર અરવલ્લીની ટેકરીઓ એ ઋષિ અને મુનીઓની તપોભૂમિ હતી.ઈ.સ.1063માં ચાલુક્ય વંશના રાજા ભીમદેવ સોલંકીના સમયમાં ‘ધાનધાર પંથક’ એ “સારસ્વત ક્ષેત્ર”નો મુખ્ય ભાગ હતો. આજનું ‘ધાણધા’ એ ધાન્યધાર પંથકનું મુખ્ય મથક હતું. (જુઓ, Epigraphia indica, vol.XXI. P.171.)
સંસ્કૃતિના મૂળ પ્રવાહને જોવા માટે પુરાતત્ત્વકાલ, વેદો અને પુરાણો સુધી જવું પડે છે. પૌરાણિક અને તે પહેલાની ભારતની ભૂરચના જવાળામુખી, ધરતીકંપ, અતિવૃષ્ટિ વગેરે કારણે ફરતી રહી છે. વૈદિક પર્નાશા એ જ આજની બનાસનદી છે. વૈદિક સરસ્વતી વિષે ઘણા બધા મત છે. સરસ્વતી નદી આર્યાવર્તની ત્રણ પવિત્ર નદીઓ ગંગા, સિંધુ અને સરસ્વતીમાંથી એક છે. ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદમાં એની સ્તુતિઓ ગાવામાં આવી છે. વાયુપુરાણમાં એને હિમાલયમાંથી નીકળી અને પ્રભાસતીર્થે સમુદ્રને મળનારી કહી છે. મિરાતે અહમદી ના પેજ નંબર 204 અનુસાર, “આ નદીનું મૂળ પૂર્વ દેશ છે. તે કેટલીક જગ્યા એ લુપ્ત અને કેટલીક જગ્યાએ પ્રગટ થાય છે. આ દેશમાં (ગુજરાતમાં ) તે સૌ પ્રથમ શિરોહીના પર્વતમાંથી નીકળે છે (આબુની તળેટીનો વિસ્તાર જે ગુરુ પર્વત સાથે જોડાયેલ છે) અને પાટણ તાબાના સિદ્ધપુર કસબા આગળ પ્રગટ થાય છે. પાટણથી આગળ અલોપ થઇ (કચ્છ નાં નાના રણમાં) સોમનાથ આગળ ખારા સમુદ્રને મળે છે.”
ધાનધારના લોકો આજે પણ ચોમાસમાં ભારે વરસાદથી ‘ગુરુ ના પર્વત’ ના પાણી વીસ નાળામાંથી વહેતા હતા ત્યારે ‘હરોડ’ આવ્યું ( સરસ્વતી આવી ) તેમ કહેતા હતા હતા, આ ‘હરોડ’ એ સરસ્વતીનો જ અપભ્રંશ શબ્દ છે, જેની અસર લોકોના માનસપટ ઉપર આજ સુધી છે. ધાનધારના ખેતરોના નામ ‘ હૈણ કે હૈણીયા’ છે તે પણ સરસ્વતિનો અપભ્રંશ શબ્દ છે. કુવારકા નદી ગંગવા થી મોરિયા તરફ વહે છે, ગબ્બર પર્વતથી નીકળતી અર્જુની નદી અને ગુરુ પર્વત પાણિયારીથી નીકળતી જોયણ નદી – આ બધી ધાન્ધાર પંથકની નાની નદીઓ જે સરસ્વતિ નદીની સહાયક નદીઓ બની સરસ્વતી નદીમાં ભળી જાય છે. મા સરસ્વતીએ પાવન અને રસાળ બનાવેલી ભૂમિમાં શેરડી, કમોદ અને વરી ના વાવેતર થતા.પાણીની અખંડ ધારની જેમ જ્યાં ધાન ની ધારા થાય છે એ ધાન્યધાર. આ નદી ક્યાંક લુપ્ત બની કે ક્યાંક એના પ્રવાહ બદલાયા છે .વૈદિક કાળમાં આ સરસ્વતી નદીને કિનારે કેટલાક નગરોનો ઉલ્લેખ છે. ઉત્તર ગુજરાત એજ આનર્ત.
શ્રી સ્થળ એટલે સિદ્ધપુર કે જેનું રુદ્ર મંદિર ઈ.સ.પૂર્વે બીજી સદી કરતા વધારે જૂનું છે, જે ક્ષત્રપ રાજા રુદ્રદામન કે તેના વંશજોએ બંધાવ્યું હતું. ‘આ મંદિર માટે વપરાયેલા પથ્થરો અરાવલીમાંથી ખોદી અર્બુદ અરણ્યના માર્ગે કે જ્યાં સરસ્વતિ વહેતી હતી તે જળમાર્ગે શ્રી સ્થલ એટલે કે સિદ્ધપુર આવ્યા છે’, તેમ જાણીતા ઈતિહાસવિદ અને પ્રો. ગુરુ શ્રી ગીરીશ ઠાકર કહે છે. હાલ જે ‘કરમાવાદ તળાવ’ કહેવાય છે એ જ પ્રાચીન ‘સારસ્વત તીર્થ’ છે. એના કાંઠે અનેક તીર્થ હોવાનો ઉલ્લેખ છે. જલોતરા ગામનું નામ પણ ‘જેના ઉત્તરમાં જળ એટલે કે પવિત્ર જળાશય છે’ – તે ‘જલોતરા’- તે રીતે થયું છે. આ સરસ્વતી તીર્થમાં પવિત્ર સ્નાન કરી સમગ્ર ઉત્તર ગુજરાતના યાત્રાળુઓ ગુરુ મહારાજના દર્શને જતા હતા.
ગંગા અને યમુના જેવો વિશાળ પ્રવાહ ધરાવતી સરસ્વતિનો વહેણ માર્ગ ક્યાં થી શરૂ થઇ ક્યાં પૂર્ણ થતો હશે, આ વિષય ઉપર અત્યારે અનેક સંશોધન ચાલી રહ્યા છે. અત્યારે એક સરસ્વતિ હિમાલયમાંથી નીકળી કુરુક્ષેત્રમાં થઇ પતિયાલા પાસે સમાઈ જાય છે, અન્ય સરસ્વતિનું ઉદ્ગમ સ્થાન અંબાજી નજીક કોટેશ્વર પાસે ના ડુંગરમાં છે,જે સિદ્ધપુર અને પાટણને પસાર કરીને કચ્છના નાના રણમાં સમાઈ જાય છે, અને ગીરના જંગલ વિસ્તારમાં પણ સરસ્વતી નીકળી પ્રભાસમાં ભગવાન શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ આગળ સમાઈ જાય છે. આ ત્રણેય સ્થાનમાં વહેતી સરસ્વતી એક જ વિશાળ સરસ્વતિના તૂટક અવશેષ છે.
શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજ અને ગુરૂનો ભોખરો જીવન ચરિત્ર અને પરિચય
લેખંકર્તા : શ્રી સંજયભાઇ જોષી (+91 8849932083)
પ્રકાશક :- શ્રી ગુરૂ ધૂંધળીનાથ દેવ્સ્થાન સમિતિ કરમાવાદ – જલોતરા