જનજાગૃતિ અર્થે મા શ્રી અર્બુદા રથનું વડગામ તાલુકા માં પરિભ્રમણ.

સમાજ માં વ્યાપ્ત વ્યસનો, કુરિવાજોની નાબુદી અને શિક્ષણનો વ્યાપ વધે તેમજ સર્જ્નાત્ત્મ્ક અને સકારાત્મક વિચારસરણી સાથે સમાજ વિકસિત બને , સંગઠિત બને તે હેતુસર બનાસકાંઠા જીલ્લા ચૌધરી સમાજ દ્વારા આયોજિત કુળદેવી માં શ્રી અર્બુદા રથયાત્રા વડગામ તાલુકા નાં ગામડાઓમાં પરિભ્રમણ કરી રહયો છે. જે અંતર્ગત આજ રોજ તા. ૧૯.૧૧.૨૦૧૬ ને શનિવાર નાં રોજ તાલુકા મથક વડગામ મુકામે મા શ્રી અર્બુદા રથનું આગમન તથા ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડગામ માર્કેટયાર્ડ થી શરૂ થયેલી ભવ્ય શોભાયાત્રા બસસ્ટેન્ડ વિસ્તાર , મુખ્ય બજાર , લક્ષ્મણપુરા વગેરે વિસ્તારોમાં લોકદર્શાર્નાથે પસાર થઈને અર્બુદાનગર માં પહોંચી હતી જ્યાં ગ્રામજનોએ પ્રસાદ નો લાભ લીધો હતો.

પરંપરાગત સામાજિક પોશાક ધારણ કરી વિશાળ સંખ્યામાં મા શ્રી અર્બુદાને સત્કારવા પધારેલા વડગામ ગામ નાં સૌ ચૌધરી સમાજ નાં ભાઈ બહેનો નો ઉત્સાહ સમગ્ર વાતાવરણ માં ધાર્મિક માહોલ પૂરો પાડતો હતો. માં અર્બુદા નાં ગરબાને તાલે ઝૂમતા તમામ નાના-મોટા ભાઈ – બહેનો ની સાથે સાથે ગ્રામજનો પણ ભાવુક બની ઉઠ્યા હતા.

આ રથ યાત્રાનાં માધ્યમથી સમાજ માં સકારાત્મક જનજાગૃતિ વધે, દરેક સમાજ વચ્ચે ભાઈચારો વધે, સમજણ વધે, અહમ ઘટે , અને લોકો સ્વસ્થ ,સુખી થાય અને મા શ્રી અર્બુદા નાં આશીર્વાદ સદા સૌ પ્રજાજનો ઉપર વરસતા રહે તેવી સૌ ને www.vadgam.com વતી શુભેચ્છાઓ…!!!