કર્મઠ કર્મયોગીને જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂપે ભાવાંજલિ અપાઈ.

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના તીર્થધામ મગરવાડા ગામ ખાતે તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ શ્રીમતી એમ.એમ.એલ. શાહ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આદ્યસ્થાપક સ્વ. શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગ રૂપે તેઓ જે શૈલીથી પ્રેરક પ્રસંગો દ્વારા શિક્ષણ આપતા તેવી જ શૈલીમાં તેમના જ જ્યેષ્ઠ પુત્ર અને જાણીતા શિક્ષણવિદ શ્રી ગજેન્દ્રકુમાર જોશી દ્વારા લિખિત પુસ્તક ‘સ્વબળે સર્વાંગી વિકાસ’નું પ. પૂ. ભાઈ મહારાજશ્રીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મગરવાડા ગામના મૂલ્યશિક્ષણના મહારથી સ્વ. ડાહ્યાલાલ મણિલાલ જોશીને શ્રદ્ધાંજલિ આપવા તેમના સુપુત્ર દ્વારા પ્રેરક પ્રસંગો આલેખિત પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં પ.પૂ. ગચ્છાધિપતિ આ.દેવશ્રી પ્રદ્યુમ્નવિમલ સૂરિશ્વરજી : ભાઈ મહારાજ સાહેબ, શ્રી પ.પૂ.ધ.ધૂ. 1008 શંકર સ્વરૂપ બ્રહ્મચારી મહારાજ, યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ.સા., અન્ય સાધુ ભગવંતોએ પુસ્તકનું વિમોચન કરતાં શ્રી ડાહ્યાલાલ સાહેબના વિરલ વ્યક્તિત્વને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી, શ્રી ગજેન્દ્રભાઈનું શાલ દ્વારા સન્માન કરી અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યા… અને તે સાથે વર્તમાન સમયમાં આદર્શ જીવન માટે મહામૂલી શીખ આપતો જ્ઞાન પ્રવાહ વહાવ્યો. એક કર્મઠ કર્મયોગીને સાચી ભાવાંજલિ અપાઈ.

સ્વ. શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશીની જીવન ઝરમર વાંચવા અહી ક્લિક કરો .