Poem-Gazal

ગઝલ

[વડગામ તાલુકાના પાંડવા ગામના વતની શ્રી અમરસિંહ ભીખાજી ઠાકોર કે જેઓ ‘સાથી’ ના ઉપનામે પણ ઓળખાય છે, શ્રી અમરસિંહ ભીખાજી ઠાકોર ગઝલ લેખન નો વિશેષ શોખ ધરાવે છે. તેઓની બે ગઝલો બનાસકાંઠાના કવિઓની રચનાઓના પુસ્તક “બનાસનો કલરવ” પુસ્તકમાં પ્રસિધ્ધ થઈ હતી જે આભાર સહ અહીં મુકવામાં આવી છે.પુસ્તકની વિગત ગઝલના અંતમાં આપવામાં આવી છે.]

 

વિસરી ગયો છું

જગત ના સમંદર માં તરી ગયો છું,

હા હવે તનેય વિસરી ગયો છું.

સાલશે મુજ ખોટ જરૂર ગગનમાં,

ભલે આજ હું નભેથી ખરી ગયો છું.

હવે ‘ના’ કહેવાની જરૂરત નથી,

હવે તો હું શ્રી ચરણ વરી ગયો છું.

થશે રોજ આભાસ મારો આંગણે,

ઘણી વાર તારે ત્યાં ફરી ગયો છું.

અમન કાજ તારા ઇબાદત કરુ છું,

દુવાઓ કરી દુ:ખો હરી ગયો છું.

ગગન કેમ જાગી ગયું પૂછજો મત,

યાદ માં હું ડૂસકા ભરી ગયો છું.

નિધન બાદ પણ યાદ એની જ ‘સાથી’

જગતમાં એવો પ્રેમ હું કરી ગયો છું.

*****

ઝેર આપી દે…

બસ, સનમ એક લહેર આપી દે,

તુ ન મળે તો ઝે’ર આપી દે.

યાદ તારી અને સિતમ તારાં,

એજ આઠો પહોર આપી દે.

દુ:ખ સૌ એકઠાં કરી લઈશ,

તુ બસ વેર-વિખેર આપી દે.

તુ જ વિરહ કરતાં મરણ ગમશે,

મૌત એક નહિ તેર આપી દે.

પ્રેમ પંથ જ ભટકશે ‘સાથી’

કંટકો ઠેર ઠેર આપી દે.

*****

[ પુસ્તક:-બનાસનો કલરવ..બનાસકાંઠાના કવિઓની રચનાઓ. પ્રકાશક:-બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર. પ્રાપ્તિસ્થાન:-ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, બનાસકાંઠા સાહિત્યકલા સંઘ અને શ્રીમતી હીરાદેવી એસ. ગુપ્તા હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ,પાલનપુર]